Saturday 8 August 2015

બનાસકાંઠાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ડૉ. કથીરિયા

બનાસકાંઠાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ડૉ. કથીરિયા

તાજેતરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા - પાટણ વિસ્તારમાં અતિવૃષ્ટિ થતા જાત મુલાકાત લઇ, લોકોને મદદરૂપ થવાના ભાવથી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઇ કથીરિયાએ તેમના અધિકારીઓ અને બનાસકાંઠા ભાજપાના પદા‌ધિકારીઓની સાથે સિધ્ધપુર, પાલનપુર, ડીસા, દીયોદર, ટેટોડા, ભાભર અને સૂઇગામ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અતિવૃષ્ટિ પછી તુરત જ ઉત્તર ગુજરાતમાં ગૌશાળા - પાંજરાપોળો તથા માલિકીના પશુધનને ખૂબ જ હાનિ પહોંચી છે. પૂરમાં અનેક ગાય - ભેંસ સહિતના પશુઓ તણાઇ ગયા છે અને મોતને ભેટ્યા છે. અચાનક અને એકાદ જોરદાર વરસાદના કારણે ટેટોડા ગૌશાળામાં નદીના પૂરના પાણી ફરી વળતા સમગ્ર ગૌશાળા ખેદાન - મેદાન થઇ ગઇ છે. ગૌશાળા - પાંજરાપોળોમાં પાણી ભરાઇ જતા ઘાસચારો બગડી ગયો છે. શેડ, ગોડાઉન, દિવાલો તૂટી જવા પામી છે. પ્રાઇવેટ પશુધનને પણ ખૂબ નુક્શાન થયું છે. હજુ પણ પાણી ભરાયેલા છે. વાહન વ્યવહાર ઠપ છે.

ડૉ. કથીરિયાના જણાવ્યા અનુસાર, સરકારે તુરત રાહતના પગલા લઇ સૌ પ્રથમ રસ્તા રીપેરીંગ, પાણીની સપ્લાઇ, વિજ કનેક્શન અને ફોન ચાલુ કરવાનું કાર્ય યુધ્ધના ધોરણે કર્યું છે. સાથે સૂકો - લીલો ચારો અને ખાણ - દાણ પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી છે. દાતાઓ અને સંસ્થાઓ પણ વ્હારે આવી છે. યુધ્ધના ધોરણે રાહત કામગીરી ચાલી રહી છે.

ડૉ. કથીરિયાએ ઉપરોક્ત સ્થળોની મુલાકાત લઇ ગૌશાળા સંચાલકો, માલધારીઓ, ગ્રામ્યજનોને અધિકારીઓ સાથે રહી હૈયાધારણ આપી, તુરત જ કલેક્ટર, ડીડીઓ, સચિવશ્રીઓ અને માનનીય મંત્રીશ્રીઓ સંપર્ક કરી યોગ્ય કાર્યવાહી કરાવવા માહિતગાર કર્યા હતા.

આ સમગ્ર પ્રવાસ દરમ્યાન અનેક જગ્યાએ ડૉ. કથીરિયાએ ટ્રેક્ટર પર અને ચાલીને લોકોની મુલાકાત લીધી હતી. તેમની સાથે જિલ્લા ભાજપા ઉપપ્રમુખશ્રી ડૉ. ગણેશભાઇ પટેલ, શ્રી ભાસ્કર ઠાકર તથા બોર્ડના અધિકારીશ્રીઓ ડૉ. કિશોર પટેલ, ડૉ. નાડોધા અને રાજકોટના જીવદયા પ્રેમી પ્રખર રાષ્ટ્રભક્ત શ્રી મનસુખભાઇ છાપીયા જોડાયા હતા.


ડૉ. કથીરિયાએ વિગતવાર અહેવાલ તૈયાર કરી સરકારમાં સુપ્રત કરી ગૌપાલકો, ખેડૂતો, ગૌશાળા - પાંજરાપોળોને વિશેષ રાહત પેકેજ આપવા ભલામણ કરી હતી.


No comments:

Post a Comment